વેપાર વિચાર: તમારા આંગણે શેનું વૃક્ષ ઉગે છે?

જામફળે..આંબા પાકી શકે?

સુખીરામ…આમ તો સુખી માણસ.. ભલો અને ભોળો જીવ એટલે કોઈનું ખરાબ કરવાની નિયત નહિ. બાપદાદાના મળેલા વારસાથી ખરીદેલી જમીન પર સુખી કુટુંબને પોષાય એવું નાનકડું મકાન બાંધીને રહેતો. કામે ખેડૂત એટલે પાક રોકડીયો કરવાની પણ થોડી ત્રેવડ. વધેલી બીજી રકમનો સદુપયોગ થાય એ માટે પડોશીઓ અવારનવાર વિવિધ સલાહોના બીજ વાવી જતા. એટલે વખતે વિચાર પણ એવો જ આવ્યો જે એને છાજે.

દીકરાને કહ્યું “જા ! બજારેથી ફળદ્રુપ આંબાના બીજ લઇ આવ. બીજા પાકોમાં આટલાં વર્ષો લગાવ્યા પણ હવે ભલે થોડાં વર્ષો વધુ લાગે પણ આંબાના લાંબા ગાળાનું રોકાણ મને આશરો અને તને વારસો બંને આપી શકશે.” – દીકરો ખેડૂતપૂત્ર ખરો પણ જીવ ખેતીમાં ન લાગે. માટે બહુ ‘લાંબા થયા વિના’ આંબાના થોડાં બીજ તો લઇ આવ્યો.

સુખીરામની ખુશીનો પાર નહિ. બીજે જ દિવસથી આંબાની ખેતી કરવામાં લાગી ગયો. વ્હેલી સવારમાં ઉઠી આંગણામાં આવેલા નાનકડા પ્લોટ પર કેટલાંક બીજ વાવી દીધાં. ખૂબ કાળજી રાખી દરરોજ તેનું જતન કરવામાં તન મન અને ધન પરોવી દેતો.  અસરકારક ખાતર નાખતો, નિયમિત પાણી મળે તેવુ સિંચન કરતો.

સાચી મહેનત રંગ લાવે જ. એમાં કોઈ શક ખરો ?!- સુખીરામની સબર થોડાં વર્ષો બાદ ખીલી ઉઠી. બીજમાંથી છોડ અને છોડમાંથી ક્ષુપ અને પછી વૃક્ષની કાયાપલટ થઇ. ભલે વર્ષો નીકળ્યા હોય પણ મીઠી કેરી માણવાના તેના ઉમંગમાં કોઈ ફરક ન પડ્યો. માત્ર ફળ સારું મળે એની રાહ જોવામાં બીજી ઘણી બાબતો પ્રત્યે બેકાળજી લેવાય એમાં કોઈ શક ખરો ?!?!

…..ને એક દિવસે સુખીરામ કેરીના કરેલા ‘કોડ’ સાથે ઝાડ પર થયેલા પ્રિ-મેચ્યોર’ ફળને ચાખવામાં લાલચ રોકી ન શક્યો. પણ આ શું??!?!?!!!!??? કેરીને બદલે કોઈક બીજા જ ફળનો સ્વાદ???- આમ કેમ બને? ક્યાં કચાશ રહી ગઈ?

દીકરો તો સમજ્યા કે આ બાબતે જાણે અજાણ હતો. માટે પડોશીને મળવું સલાહભર્યું હવે તેને લાગ્યું. ફળ ચાખ્યા બાદ સમજુદાસ પડોશી પણ હવે મુકપણે હસી પડ્યો. કયા મોઢે કહે કે “સુખીરામભાઈ !…તમે વાવેલા બીજ તો જામફળના હતા. પછી કેરીની આશામાં વર્ષો પસાર કર્યા. બીજ વાવતા પહેલા જરી અમને તો પૂછી જોવું હતું મારા ભાઈ?”……..

જો જો દોસ્તો! ક્યાંક આપણે પણ કોઈક મળેલા બીજ વાવી ભળતા ફળની આશામાં તો નથી રહ્યા ને?-

સાગર-ખેડુ સર‘પંચ’

આ ક્લિપ જોયા પછી એમ લાગે છે કે…હાથ કે હાર્ટ ભલે હી છોટા સા ક્યોં ન હો…આશા હર મુશ્કિલ આસાં કર દેતી હૈ!  

5 comments on “વેપાર વિચાર: તમારા આંગણે શેનું વૃક્ષ ઉગે છે?

  1. Atul Jani (Agantuk) કહે છે:

    મુર્તઝા ભાઈ,

    સુખીરામને તો તે ય ખબર નથી લાગતી કે આંબાના બીજ ન હોય મોટા મોટા ગોટલા હોય. અરે કેરી ખાઈને વધેલો હોય તે –
    ઓલ્યા છોકરા નથી જોડકણાં ગાતા કે : ગોટલો એ પડ્યો સામે ખુણામાં 🙂

    આડવાત : અમારે ત્યાં દાદાની વાડીમાં જામફળીએ ઉગે છે હો 🙂

  2. ASHOK M VAISHNAV કહે છે:

    ખરેખર, વીડીયૉ ક્લિપ જોઇને મનુષ્યની નિર્ધાર કરવાની શક્તિ માટે માન થાય.પરંતુ આ નિર્ધાર ને પાર પાડવામાં કંઇ કેટલીય મુશ્કેલીઓ પડી હશે, અનેકાવિધ નિરાશાઓ મળી હશે, કેટલાય લોકો એ હતોત્સાહ પણ કરવામાં બાકી નહીં રાખ્યુ હશે. અને તેમ છતાં આ ક્લિપમાંના પાત્રોએ હાર નથી માની. તેમને અને તેમના જુસ્સને સલામ!

    મૂળ લેખના સંદર્ભમાંઃ જે લોકો માત્ર સ્વપ્નાં જ જૂએ છે, પરંતુ તેને સિધ્ધ કરવા માટે પોતાની વસ્તુલક્ષી આંતરખોજ નથી કરી શકતાં, તેને માટે જરૂરી આયોજન કરી ને તેને સિધ્ધ કરવા ને કચકચાવીને કમર નથી કસતાં તેવાં લોકોના ઉદાહરણૉ તો ચોરે અને ચૌટે જોવા મળશે.એટલે જેમ પછીનાં ઉદાહરણમાંથી ‘શું કરવું’ તે સકારાત્મક શીખ લઇએ તેમ પહેલાંના ઉદાહરણમાંથી ‘શું ન કરવું’ તેવી શીખ પણ લઇએ.

    આપના આ લેખની આ user guide બદલ ક્ષમા!

  3. પેલી બે કહેવતો સાર્થક થાય છે,
    ૧. આપ મૂઆ વિના સ્વર્ગે ના જવાય અને
    ૨. પારકી આશ સદા નિરાશ

  4. મુર્તઝાભાઈ,

    ખૂબજ અસરકારક અને પ્રેરક ક્લીપ સાથે ની પોસ્ટ ! ધન્યવાદ !

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.